દેશની આઝાદીના યુદ્ધનો સાક્ષી લાલ કિલ્લો મુગલકાલીન વાસ્તુકલા, સર્જનાત્મકતા અને સુંદરતાનું અનોખું ઉદાહરણ છે. મુગલ શાસક શાહજહાએ ૧૧ વર્ષ સુધી આગ્રા એટલે અકબરાબાદથી શાસન કર્યા પછી નક્કી કર્યું કે રાજધાની દિલ્લી લાવવામાં આવે. તેણે દિલ્લીમાં લાલ કિલ્લાનો પાયો નાખ્યો. શાહજહાં એટલે ૫ મા મુગલ શહંશાહ પોતાની ન્યાયપ્રિયતા અને વૈભવવિલાસના લીધે પોતાના સમયમાં લોકપ્રિય રહ્યા. ૧૬૩૯ માં મુગલ સમ્રાટ શાહજહાંએ દુનિયાના આ સૌથી સુંદર અને ભવ્ય કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. ઈતાલવી ઈતિહાસકાર નિકોલાઓ મનુચી જણાવે છે, ‘‘રાજપાટથી પોતાનું ધ્યાન વહેંચવા માટે શાહજહાં સંગીત અને નૃત્યનો સહારો લેતા હતા. વિભિન્ન સંગીત વાદ્ય અને શેરોશાયરી સાંભળવી તેમના શોખ હતા. તે પોતે પણ સારું ગાતા હતા. તેમની સાથે ગાનાર અને નૃત્ય કરતી છોકરીઓનું એક ટોળું હંમેશાં રહેતું હતું.’’
આગ્રામાં ખૂબ ભીડ હતી અને શાહજહાં માટે ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું, જ્યારે ‘દિલ્લી સેન્ટર ઓફ ટ્રેડ’ હતું, તેથી તેણે પોતાની રાજધાની દિલ્લીને બનાવવાનો નિર્ણય લીધો અને તેને શાહજાનાબાદ નામ આપ્યું. ૧૬ એપ્રિલ, ૧૬૪૮ એટલે લગભગ ૯ વર્ષમાં લાલ કિલ્લો બનીને તૈયાર થયો. તેણે લાલ કિલ્લાને ‘મુબારક એ કિલ્લો’ નામ આપ્યું હતું. લગભગ દોઢ કિલોમીટરના અંતરમાં ફેલાયેલા ભારતના આ ભવ્ય ઐતિહાસિક સ્મારકની ચારે બાજુ લગભગ ૩૦ મીટર ઊંચી પથ્થરની દીવાલ બનેલી છે, જેમાં મુગલકાલીન વાસ્તુકલાનો ઉપયોગ કરી ખૂબ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
અમૂલ્ય વારસો
શાહજહાંના દરબારના ઉસ્તાદ હામિદ અને ઉસ્તાદ અહમદે લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે શાહજહાં જલદીમાં હતા, કારણ કે યમુનાના કિનારે કિલ્લો બની રહ્યો હતો, જ્યારે બંને ઉસ્તાદ ઈચ્છતા હતા કે પાયો પહેલાં સુકાઈ જાય પછી આગળ કામ કરશે, પરંતુ શાહજહાં નહોતા માન્યા. ત્યારે તે બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. તે સમયે શાહજહાંએ ૬ મહિના રાહ જેાઈ અને પછી તેમની ઉપર ઈનામ રાખ્યું. ત્યારે બંને અચાનક સામે આવ્યા અને શાહજહાંને જણાવ્યું કે તેઓ એટલે ગયા હતા, જેથી પાયો સુકાવા માટે થોડો સમય મળી જાય. જ્યારે પાયો ચેક કર્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ સમયમાં સતત યમુનાનું પાણી મળવાથી પાયો મજબૂત થઈ ગયો હતો.
લગભગ ૨૫૦ એકર જમીનમાં ફેલાયેલા આ ભવ્ય કિલ્લાના પ્રાંગણમાં કેટલીય કહાણી છુપાયેલી છે. મુગલ રાજાશાહીની સત્તા, મુગલ બેગમોની સુંદરતા અને બ્રિટિશર્સ વિરુદ્ધ સંઘર્ષની કહાણી. ૨૦૦૭ માં યૂનેસ્કો દ્વારા ઐતિહાસિક વિરાસતનું સન્માન મેળવનાર આ કિલ્લાનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે.





